અમેરિકા-ઇઝરાયેલ અને ઈરાન જંગનો આજે આઠમો દિવસ છે. આ દરમિયાન સમાચાર છે કે રશિયા જંગ દરમિયાન ઈરાનને ગુપ્તચર મદદ આપી રહ્યું છે. મોસ્કોએ ઈરાનને મિડલ-ઈસ્ટમાં હાજર અમેરિકી યુદ્ધ જહાજો અને સૈન્ય વિમાનોના લોકેશન સાથે જોડાયેલી માહિતી પૂરી પાડી છે.
વોશિંગ્ટન પોસ્ટ દ્વારા ત્રણ અમેરિકી અધિકારીઓના હવાલાથી જણાવવામાં આવ્યું છે કે રશિયા ઈરાનને એવી ટાર્ગેટિંગ ઈન્ટેલિજન્સ આપી રહ્યું છે, જેનાથી તે અમેરિકી સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવી શકે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ગયા અઠવાડિયે અમેરિકા અને ઇઝરાયેલના ઈરાન પરના હુમલા બાદ ઈરાની સેનાની અમેરિકી ઠેકાણાઓ શોધવાની ક્ષમતા નબળી પડી ગઈ છે. ત્યારબાદ તે રશિયાની મદદ લઈ રહ્યું છે.
બીજી તરફ મોસ્કોએ પણ કહ્યું છે કે ઈરાન અને રશિયાના અધિકારીઓ સંપર્કમાં છે, જોકે રશિયા તેહરાનને ગુપ્તચર કે સૈન્ય મદદ આપી રહ્યું છે કે કેમ તે અંગે કંઈ કહેવામાં આવ્યું નથી.
ઈરાનનું યુદ્ધ જહાજ ભારતમાં રોકાયું
ઈરાનનું એક યુદ્ધ જહાજ IRIS લાવાન ભારતના કોચ્ચી બંદર પર રોકાયેલું છે. ANI એ સરકારી સૂત્રોના હવાલાથી જણાવ્યું છે કે ઈરાને 28 ફેબ્રુઆરીએ ટેકનિકલ ખામી સર્જાયા બાદ ભારત પાસે મદદ માંગી હતી.
ભારતે 1 માર્ચે જહાજને કોચ્ચીમાં ડોક કરવાની મંજૂરી આપી અને ત્યારબાદ 4 માર્ચે આ જહાજ બંદર પર પહોંચ્યું હતું. જહાજના 183 ક્રૂ મેમ્બર્સ હાલમાં કોચ્ચીમાં ભારતીય નૌસેનાની સુવિધાઓમાં રોકાયેલા છે.
IRIS લાવાન તાજેતરમાં ભારતમાં આયોજિત ઇન્ટરનેશનલ ફ્લીટ રિવ્યુ (IFR) 2026 અને મિલન 2026 નૌસૈનિક અભ્યાસમાં સામેલ થયું હતું, જે 15 થી 25 ફેબ્રુઆરી દરમિયાન યોજાયા હતા.
આ પહેલા અમેરિકાએ ભારતથી પરત ફરી રહેલા ઈરાની યુદ્ધ જહાજ IRIS દેના પર શ્રીલંકા પાસે હુમલો કરીને તેને ડુબાડી દીધું હતું. આ હુમલામાં 87 ઈરાની નૌસૈનિકો માર્યા ગયા હતા.
ઇઝરાયલ-ઈરાન યુદ્ધ સંબંધિત મુખ્ય અપડેટ્સ
ઈરાનના મેહરાબાદ એરપોર્ટ પર બ્લાસ્ટ
ઈરાનની રાજધાની તેહરાનના મુખ્ય મેહરાબાદ એરપોર્ટ પર જોરદાર ધડાકાના સમાચાર સામે આવ્યા છે. એરપોર્ટની નજીક રહેતા બે સ્થાનિક રહેવાસીઓએ ‘અલ જઝીરા’ ને જણાવ્યું કે ત્યાં એક મોટો વિસ્ફોટ થયો, જેના પછી આગ અને ધુમાડાના વિશાળ ગોટેગોટા ઉડતા જોવા મળ્યા હતા.
બંને રહેવાસીઓએ ટેક્સ્ટ મેસેજ દ્વારા જણાવ્યું કે તેમણે એરપોર્ટના રનવે પર ઉભેલા કેટલાક વિમાનોને આગમાં સળગતા જોયા હતા. તેમના જણાવ્યા અનુસાર, ધડાકા બાદ આસપાસના વિસ્તારમાં ધુમાડો ઝડપથી ફેલાઈ ગયો.
હાલમાં એ સ્પષ્ટ થઈ શક્યું નથી કે બ્લાસ્ટ કયા કારણોસર થયો અને એરપોર્ટને કેટલું નુકસાન થયું છે. અધિકારીઓ તરફથી હજુ સુધી આ ઘટના અંગે કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી.